પરીક્ષિત રાજા પૂછે છે- હે મહારાજ ! એ નળકૂબર અને મણિગ્રીવને નારદજીએ શાપ દીધો તેનું કારણ કહો, એ લોકોએ કયું ભુંડું કામ કર્યું હતું ? અને નારદજીએ પોતે મહાવૈષ્ણવ થઇને કોપ શા માટે કર્યો ? શુકદેવજી કહે છે- રુદ્રનું અનુચરપણું મળવાથી બહુજ ગર્વ પામેલા એ બે કુબેરજીના પુત્રો છકેલા થઇને કૈલાસ પર્વતના સુંદર ઉપવનમાં ગંગાજીને કાંઠે ફરતા હતા. વારુણી નામની મદિરા પીવાને લીધે તેઓનાં નેત્રો મદથી ઘૂમતાં હતાં અને ફૂલવાડીમાં ફરતા હતા, ત્યાં તેઓની પાછળ સ્ત્રીઓ ગાતી આવતી હતી. કમળોના ઘણા વનવાળા ગંગાજીના પ્રવાહમાં પ્રવેશ કરીને હાથીઓ જેમ ક્રીડા કરે તેમ તેઓ જુવાન સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા. હે રાજા ! ત્યાં દૈવ ઇચ્છાથી દેર્વિષ નારદજી આવી ચડ્યા, તેઓને જોઇને આ બન્ને મદોન્મત્ત છે એમ જાણી ગયા. વસ્ત્ર વગરની સ્ત્રીઓએ નારદજીને જોઇને લાજ આવતાં તેમના શાપની બીકથી તુરત વસ્ત્ર પહેર્યાં, પણ નગ્ન ઊભેલા તે બે જણાએ પહેર્યાં નહીં. મદિરા પીવાથી મદોન્મત્ત બનેલા અને લક્ષ્...