ત્રણે લોકોમાં રાધાજીની સ્તુતિ થતી જોઈને દેવર્ષિ નારદ ખીજાઈ ગયા. તેમની એક જ ફરિયાદ હતી કે પોતે કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે છે, તો પછી મારું નામ કોઈ કેમ નથી લેતું? દરેક ભક્ત ‘રાધે-રાધે’શા માટે કહે છે? તેઓ પોતાની આ વ્યથા લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચ્યા.
નારદજીએ જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ ભયંકર માથાના દુખાવાથી કણસી રહ્યા હતા. ભગવાનની આ પીડા દેવર્ષિથી ન જોઈ શકાઈ અને તેમણે પૂછયું, ‘ભગવાન! શું આ માથાના દુખાવાનો કોઈ ઉપચાર છે? મારા હૃદયના રક્તથી આ દુખાવો શાંત થઈ જાય તો હું મારું રક્ત દાન કરી શકું છું.’
આ સાંભળી શ્રીકૃષ્ણએ ઉત્તર આપ્યો, ‘નારદજી, મને કોઈના રક્તની જરૂર નથી, પરંતુ જો મારો કોઈ ભક્ત પોતાનું ચરણામૃત એટલે કે પોતાના પગ ધોઈને તે પાણી પીવડાવી દે તો મારો માથાનો દુખાવો શાંત થઈ શકે છે.’
નારદજી મનમાં વિચારવા લાગ્યા કે ભક્તનું ચરણામૃત, તે પણ ભગવાનના શ્રીમુખમાં. આમ કરનારને તો ઘોર નરક ભોગવવું પડશે. આ વાત જાણવા છતાં કોઈ નરક ભોગવવા શા માટે તૈયાર થાય?’ શ્રીકૃષ્ણએ નારજીને કહ્યું કે તેઓ રુક્મિણી પાસે જઈને આ બધી જ વાત કરે તો શક્ય છે કે રુક્મિણી પોતાનું ચરણામૃત આપવા તૈયાર થઈ જાય.
નારદજી રુક્મિણી પાસે ગયા અને તેમને સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. રુક્મિણી બોલ્યાં, ‘ના, ના, હું આ પાપ ન કરી શકું.’ નારદજીએ પાછા ફરીને રુક્મિણીની વાત શ્રીકૃષ્ણને જણાવી. હવે શ્રીકૃષ્ણએ નારદજીને રાધાજી પાસે મોકલ્યા. રાધાજીએ શ્રીકૃષ્ણની પીડા વિશે જાણ્યું કે તરત જ એક પાત્રમાં જળ લઈને આવ્યાં અને તેમાં પોતાના બંને પગ ડુબાડ્યાં.
પછી તેમણે નારદજીને કહ્યું, ‘દેવર્ષિ, આ ચરણામૃતને ઝડપથી શ્રીકૃષ્ણ પાસે લઈ જાઓ. હું જાણું છું કે ભગવાનને પોતાના પગ ધોઈને પીવડાવવાથી મને રૌરવ નામના નરકમાં પણ સ્થાન નહીં મળે, પરંતુ મારા પ્રિયતમના સુખ માટે, તેમની પીડા શાંત કરવા માટે હું અનંત યુગો સુધી નરકની યાતનાઓ ભોગવવા તૈયાર છું.’ દેવર્ષિના પ્રશ્નનું સમાધાન થઈ ગયું.
Comments
Post a Comment