એકવખત લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ ફરવા માટે નીકળ્યા. બંને પોતપોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોવાથી ઘણા સમય પછી બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી હતી.
ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના કાર્યનો અહેવાલ આપી રહ્યા હતા.
બધી વાત સાંભળ્યા પછી થોડા અભિમાન સાથે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યુ," પ્રભુ, આપ જે કંઇપણ વાત કરો છો તે બધુ બરાબર છે પણ આ જગતમાં લોકોને મારી જરુર છે તમારી નહી.
દુનિયામાં તમારા વગર ચાલે પણ મારા વગર ન ચાલે." ભગવાને જોયુ કે લક્ષ્મીજીને અભિમાન આવ્યુ છે એટલે એમણે કહ્યુ," દેવી મને સાબિત કરીને બતાવો કે બધાને તમારી જરુર છે પણ મારી નહી."
લક્ષ્મીજી ભગવાનને પોતાની સાથે લઇને એક નગરમાં ગયા. કોઇ માણસનું અવસાન થયેલુ હશે આથી તેની સ્મશાનયાત્રા નીકળી હતી.
લોકો ભગવાનનું નામ લઇ રહ્યા હતા.લક્ષ્મીજીએ કહ્યુ," પ્રભુ, જુઓ આ બધા તમારુ નામ લઇ રહ્યા છે અને હવે મારા પ્રભાવમાં તમારુ નામ ક્યાં ઉડી જાય છે એ જોજો."
આટલું કહીને લક્ષ્મીજીએ સોનામહોરનો વરસાદ ચાલુ કર્યો. બધા લોકો સ્મશાનયાત્રા ભૂલીને સોનામહોર ભેગી કરવા લાગ્યા.
લક્ષ્મીજીએ હસતા હસતા કહ્યુ," બોલો પ્રભુ, હવે કંઇ કહેવું છે?" ભગવાને કહ્યુ, " દેવી મારે એક જ સવાલ પુછવો છે આ બધા માણસો તમારી પાછળ દોડ્યા પણ નનામીમાં બાંધેલો કેમ ઉભો ન થયો?"
લક્ષ્મીજી કહે," પ્રભુ, આપ પણ ખરા છો, એ તો હવે મૃત્યુ પામ્યો છે એને હવે મારી શું જરુર"
ભગવાન ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા," દેવી હું જીવ પ્રાણી માત્રનો પ્રાણ છું. જો હું જ જતો રહું તો તમારુ કોઇ જ મૂલ્ય નથી."
મિત્રો, લક્ષ્મીજી સુવિધા છે અને ભગવાન શ્વાસ છે. શ્વાસ ચાલતા હોય ત્યારે સુવિધા ઉપયોગી થાય પણ શ્વાસ જ ન હોય તો સુવિધાને શું કરવાની ?
Comments
Post a Comment