ઈશ્વર ક્યારેક ક્યારેક એવાં કામ કરેછે કે માનવ તેની લીલાને સમજી શકતો નથી, શાસ્ત્રો, પંડિતો અને સંતોનાં મંતવ્ય પ્રમાણે ઈશ્વરની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી.
સદાએ ભ્રમણ કરવાનો શ્રાપ બ્રહ્માજી દ્વારા મળ્યો હોવા છતાં કોઈ કારણસર નારદજી એક વખત સમાધિમાં બેસી ગયા. ઇન્દ્રને પણ શ્રાપ હતો કે તેને સદાએ પોતાનું ઇંન્દ્રાસન ઝુંટવાઇ જવાનો ડર રહેતો. જેવા નારદજી સમાધિમાં બેઠા કે ઇન્દ્રદેવ ગભરાયા, તેમણે કામદેવને નારદજીની તપસ્યા ભંગ કરવા મોકલ્યા, નારદજીની તપસ્યા તો ભંગ થઈ, પણ તેમણે કામદેવને ક્ષમા આપીને જવા દીધા.
પણ મનમાં અભિમાન થયું કે મેં કામને જીત્યો, અને શંકર ભગવાને તો કામને બાળી નાખ્યો હતો, (જ્યારે કામદેવનાં પત્ની રતિ આક્રંદ કરવા લાગ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ રતિને વચન આપ્યું કે, કામદેવ અનેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે વાસ કરશે, અને જ્યારે પ્રભુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે કામદેવ તેમના પુત્ર પ્રદ્યુમ્ન રૂપે પુનર્જીવિત થશે અને તમારું ફરીને મિલન થશે.) પણ મેં કામને જવા દીધો. અને પાછા આ ઘટના શિવજીને પણ પોતાની બડાઈ બતાવવા માટે વધારી ચડાવીને કહી અને વધારે ફુલાયા.
ભગવાન પોતાના પ્રિય ભક્તનું અભિમાન રહેવા દેતા નથી. તરત જ નારદજીના વિચરવાના માર્ગમાં જ એક અલૌકિક ઐશ્વર્ય ધરાવતી માયા નગરી બનાવી, જેનો રાજા શીલનિધિ, તેની પુત્રી વિશ્વમોહિનીના સ્વયંવરનો પ્રસંગ ચાલતો હતો, નારદજી પણ આ કન્યાને જોઈને લલચાઈ ગયા, વિચાર્યું કે જો વિષ્ણુ ભગવાન જેવું રૂપ હોય તો આ કન્યા સ્વયંવરમાં મને જ પસંદ કરે. એ આશયે નારદજીએ ભગવાન ને પ્રાર્થના કરી, અને પ્રભુ તો રાહ જ જોતા હતા, તરત પ્રગટ થયા, નારદજીએ બધી વાત કરીને પ્રભુના રૂપની માગણી કરી. ત્યારે ભગવાને યથા યોગ્ય કરવાનું વચન આપ્યું.
મનમાં પોતાને અતિ સુંદર સમજતા નારદજી પાંસેથી વિશ્વમોહિની મર્મમાં હસીને પસાર થઈ ગઈ, ત્યારે બાજુમાં વિપ્રના વેશમાં બેઠેલા શિવજીના ગણોએ દર્પણમાં મુખ જોવાની ટકોર કરી, નારદજીએ જળની અંદર જોતાં પોતાનું મુખ વાંદરા જેવું દેખાણું. નારદજીએ શિવ ગણોનેતો શ્રાપ આપ્યો પણ સાથે સાથે ભગવાનને પણ શ્રાપ આપ્યો કે આપે મને વાનર જેવો બનાવીને છેતર્યો છે, પણ રામ અવતાર વખતે રીંછ અને વાનરો જ તમને કામ આવશે.
આવી છે ભગવાનની માયા. આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો, નામ કમાવા માટે દાન ન કરો, મોટાં મોટાં મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં
સાચે જ જે ભૂખ્યાં છે તેમને ભોજન આપો.•
સાચે જ જે ભૂખ્યાં છે તેમને ભોજન આપો.•
Comments
Post a Comment